પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ઘોર પરાજય પછી પણ મુખ્યપ્રધાન પદેથી રાજીનામું ન આપવાની મમતા બેનર્જીની જિદ પછી રાજ્યના રાજ્યપાલ આર એન રવિએ રાજ્ય વિધાનસભા ભંગ કરી દીધી હતી. વિધાનસભાનો કાર્યકાળ બુધવાર મધ્યરાત્રિ પછી સમાપ્ત થવાનો હતો.
મમતાએ પરંપરા મુજબ રાજીનામું ન આપ્યું હોવાથી રાજ્યપાલ પાસે તેમના અનુગામી શપથ લે ત્યાં સુધી તેમને કાર્યકારી મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવાનું કહેવાની કોઈ તક મળી ન હતી. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે વચગાળાના સમયગાળામાં રાજ્યપાલ રાજ્યના કાર્યકારી વડા રહેશે.
રાજ્યપાલ કાર્યાલયે એક નિવેદનમાં જણાવાયું હતું કે બંધારણની આર્ટિકલ 174ની કલમ 2ની પેટાકલમ (b) હેઠળ રાજ્યપાલને મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આર એન રવિએ 7મે, 2026થી પશ્ચિમ બંગાળ વિધાનસભાનું વિસર્જન કરવાનો આદેશ જારી કર્યો છે. આ સાથે જ પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની પ્રથમ સરકારની રચનાનો માર્ગ મોકળો થયો હતો. કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે 9મેએ ભવ્ય શપથગ્રહણ સમારંભ યોજાશે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના અધ્યક્ષ નિતિન નબીન, અનેક કેન્દ્રીય મંત્રીઓ તેમજ NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહે તેવી પૂરી શક્યતા છે. રાજ્યના નવા મુખ્યપ્રધાન કોણ હશે તેનું રહસ્ય હજુ અકબંધ છે, પરંતુ વિપક્ષના નેતા સુવેન્દ્ર અધિકારીને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
નવી સરકારના શપથ ગ્રહણની તડામાર તૈયારી ચાલુ કરાઈ હતી. ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલકાતા આવી રહ્યા છે અને નવા ચૂંટાયેલા ભાજપ ધારાસભ્યો સાથે બેઠક યોજીને ભાજપ ધારાસભ્ય દળના નેતાના નામની જાહેરાત કરી શકે છે.
















Leave a Reply