
અમદાવાદમાં નવા રોડ બનાવવા, રોડ રિસરફેસ કરવા દર વર્ષે એક હજાર કરોડનો ખર્ચ કરાય છે. આમ છતાં આ વર્ષે જૂન મહિનામાં વિવિધ વિસ્તારના રોડ ઉપર 838 ભૂવા પડયા છે. આ ભૂવાના સમારકામ પાછળ લાખો રુપિયાનો ખર્ચ થઈ રહયો છે.કોર્પોરેશનના સત્તાધીશો શહેરીજનોને સારી ગુણવત્તાવાળા અને ટકાઉ રોડ આપવાના બદલે નવા અખતરાં કરી રહયા છે. સિમેન્ટના રોડ બનાવવા રુપિયા ૩૦૦ કરોડનું આંધણ કરાશે. જે પ્રજાના નાણાંની બરબાદી જ છે. આમ છતાં શાસકોએ લોકોને પડી રહેલી મુશ્કેલી કે હાડમારીને લઈ ચૂપકીદી સેવી લીધી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો પાસેથી પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદ મેળવવા એક દાયકાથી ઓનલાઈન સિસ્ટમ કાર્યરત કરાઈ છે. કોમ્પ્રિહેન્સિવ રિડ્રેસલ સિસ્ટમ તરીકે જાણીતી આ સિસ્ટમ ઉપર 1થી 30 જૂન-2025 દરમિયાન રોડ સંબંધિત 5033 ફરિયાદ મળી હતી.
ઓનલાઈન મળેલી ફરિયાદ ઉપરાંત ઓફલાઈન ફરિયાદ કેટલી થઈ હશે. એનો કોઈ હિસાબ કોર્પોરેશન પાસે નથી. શહેરના મણિનગર, લાંભા અને વટવા સહિતના અન્ય વોર્ડમાં આવેલા રોડ ઉપર સૌથી વધુ 159 ભુવા પડયા હતા. ગોમતી પુર, અમરાઈવાડી સહિતના વિસ્તારમાં 134, ખાડીયા,જમાલપુર સહીતના વિસ્તારમાં રોડ ઉપર ભુવા પડવાની 97 ફરિયાદ કોર્પોરેશનને મળી હતી.
નરોડા,કુબેરનગર, સૈજપુર સહિતના વિસ્તારમાં આવેલા રોડ ઉપર 133, થલતેજ,બોડકદેવ સહીતના વિસ્તારમાં રોડ ઉપર ભુવા પડવાની 89 ફરિયાદ તંત્રને મળી હતી. જોધપુર,બોપ, સરખેજ સહીતના વિસ્તારમાં આવેલા રસ્તાઓ ઉપર એક મહીનામાં 48 ભુવા પડવાની તથા પાલડી,વાસણા,નવાવાડજ, સાબરમતી અને રાણીપ સહીતના વિસ્તારમાં આવેલા રસ્તાઓ ઉપર 124 ભુવા પડવાની ફરિયાદ મળી હતી. સ્માર્ટ સિટીમાં રોડના કામમા થતા ભ્રષ્ટાચારને છુપાવવા સત્તાધીશો નવા-નવા અખતરા કરી રહયા છે.ડસ્ટ ફ્રી રોડ, વોલ ટુ વોલ રોડ, મોડેલ રોડ,પ્લાસ્ટિક રોડ, આઈકોનિક રોડ અને હવે સિમેન્ટ રોડ બનાવાના નામે લોકો દ્વારા દર વર્ષે ભરવામા આવતા 1700 કરોડના પ્રોપર્ટીટેકસના નાણાં વેડફાતા હોવાનો વિપક્ષનેતાએ આક્ષેપ કર્યો છે.
