

21 જુલાઈએ જગદીપ ધનખડના ઉપરાષ્ટ્રપતિના પદ પરથી રાજીનામું આપ્યા બાદ NDA ઉપરાષ્ટ્રપતિના પદ માટે પોતાના નવા ઉમેદવાર પસંદ કરવાની તૈયારીમાં જોડાઈ ગયું છે. આ મહત્ત્વપૂર્ણ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માલદીવ મુલાકાત બાદ લેવામાં આવ્યો છે. NDAની આ મહત્ત્વની બેઠક જલ્દી યોજાશે તેવી સંભાવના છે. આ બેઠકમાં ઉપરાષ્ટ્રપતિના પદ માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, ભાજપ પોતાના જ કોઈ અનુભવી નેતાને નિયુક્ત કરવાની યોજના બનાવી રહ્યું છે, જેને ગઠબંધનના સહયોગી પાર્ટીનું પણ સમર્થન મળે. અહીં ખાસ વાત એ છે કે, આવનારા ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર એવા પાંચ રાજ્યોમાંથી એક હોય શકે છે, જ્યાં આવતા એક વર્ષ સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ધનખડના રાજીનામાંએ ચોંકાવ્યાજગદીપ ધનખડે સ્વાસ્થ્યનું કારણ જણાવી ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું હતું. જોકે, તેમનો આ નિર્ણય ચોંકાવનારો હતો. કારણ કે, તે પોતાના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન અનેક વિપક્ષી પાર્ટીઓ સાથે વિવાદના કારણે ચર્ચામાં રહ્યા હતા. ધનખડ ભારતના એ ગણતરીના ઉપરાષ્ટ્રપતિઓમાં સામેલ થયા છે, જેણે પોતાના કાર્યકાળ દરમિયાન રાજીનામું આપ્યું હોય. આ પહેલાં ફક્ત વી. પી ગીરી અને આર. વેંકટરમણે જ આવું કર્યું હતું.
ઉપરાષ્ટ્રપતિને લઈને એનડીએની વ્યૂહનીતિ આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ ઘડવામાં આવશે. બિહારમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર અને આવતા વર્ષે આસામ સિવાય પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળ જેવા પ્રમુખ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. તેથી ઉમેદવારની પસંદગી ચૂંટણીના પાસાઓની પણ ભૂમિકા હોવાની સંભાવના છે.
જોકે, હજુ સુધી ઉપરાષ્ટ્રપતિના પદને લઈને કોઈ સત્તાવાર નામ સામે નથી આવ્યું, પરંતુ ચર્ચા છે કે, રાજ્યસભાના ઉપસભાપતિ તેમજ એનડીએ સહયોગી જનતા દળ (યુનાઇટેડ)ના સાંસદ હરિવંશ એક નામ હોય શકે છે. તેઓ 2020થી આ પદ પર કાર્યરત છે અને એક મજબૂત દાવેદાર છે. તેમને સરકારનો વિશ્વાસ મળેલો છે તેમજ બિન-વિવાદાસ્પદ ચહેરો છે. પરંતુ, બીજીબાજુ એવી પણ અટકળો ચાલી રહી છે કે, ભાજપ આ વખતે પોતાના કોઈ અનુભવી નેતાને ઉપરાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર બનાવી શકે છે.