
આખા વિશ્વને સ્તબ્ધ કરનારી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ક્રેશ સાઇટ ખાતે મળી આવેલા માનવ અંગોની DNA સેમ્પલ મેચિંગ પ્રક્રિયા (DNA Sample Matching Process) બાદ તમામ નશ્વર અવશેષોની ધાર્મિક વિધિ સન્માનપૂર્વક સંપન્ન કરવામાં આવી છે. DNA સેમ્પલ મેચિંગની પ્રક્રિયા દરમિયાન હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતકોનાં પરિવારજનોને જાણ કરવામાં આવી હતી કે, વિક્ષત માનવ અંગોની ડી.એન.એ સેમ્પલ મેચિંગ પ્રક્રિયા ચાલુ હોવાથી ભવિષ્યમાં તેમના પરિવારજનોના નશ્વર અવશેષો મળી શકે છે.
DNA સેમ્પલ મેચિંગની પ્રક્રિયાને અંતે કુલ 26 જેટલા મૃતકોનાં મોર્ટલ રીમેન્સ (નશ્વર અવશેષો) મળી આવતા તમામ સંબંધિત પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. 7 પરિવારો તેમના સ્વજનોનાં અંગો ધાર્મિક વિધિ માટે લઈ ગયા હતા. જ્યારે બાકીનાં પરિવારોએ હોસ્પિટલ તંત્રને તેમની તરફથી ધાર્મિક વિધિ કરવાનું જણાવ્યું હતું. તેથી કુલ 19 માનવ અંગોની અંતિમ ધાર્મિક વિધિઓ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. આ 19 મૃતકોનાં નશ્વર અવશેષોની (Ahmedabad Plane Crash) અંતિમ વિધિ કરવાની હતી, તેમાંથી એક મુસ્લિમ વ્યક્તિની દફન વિધિ સંપૂર્ણ સન્માન સાથે તેમની ધાર્મિક વિધિ પ્રમાણે મૌલવી દ્વારા કુરાન શરીફની આયત વાંચીને કરવામાં આવી હતી.
જ્યારે 18 હિન્દુ મૃતકોનાં નશ્વર અવશેષોની અંતિમ ક્રિયા હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વાડજમાં (Vadaj) કરવામાં આવી હતી. ત્યારબાદ, તેમના અસ્થિ સંપૂર્ણ સન્માનપૂર્વક સાબરમતીનાં નારણ ઘાટ (Naran Ghat) પર વિસર્જિત કરવામાં આવ્યા. આ સંપૂર્ણ પ્રક્રિયા મૃતકોને યોગ્ય સન્માન આપવા અને તેમના પરિવારજનોને આ દુઃખદ સમયમાં સહયોગ પૂરો પાડવાનાં ભાગરૂપે હાથ ધરવામાં આવી હતી. આ તમામ અંતિમવિધિ અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં (Ahmedabad Civil Hospital) સુપ્રિટેન્ડેન્ટ, HOD ફોરેન્સિક, મેડિકલ ઓફિસર, રેસિડેન્ટ ડૉક્ટર્સ અને ક્લાસ-4 સ્ટાફ તેમ જ પોલીસ વિભાગ તરફથી ઝોન-4 નાં SP ડૉ. કાનન દેસાઈ અને PI શ્રી પ્રતિપાલ સિંહ ગોહિલ (નરોડા) ની દેખરેખમાં કરવામાં આવી હતી.
