ગુજરાતમાં 8 જિલ્લાઓમાં 22 કરોડના ખર્ચે નવા ચેરિટી કચેરી ભવન બનશે. જેમાં વેરાવળ, બોટાદ, મોડાસા, સુરેન્દ્રનગર, ભૂજ, લુણાવાડા, હિંમતનગર અને મોરબીમાં આ ભવનનું નિર્માણ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 8 ચેરિટી ભવનોના ઇ-ખાતમૂર્હત ગાંધીનગરથી સંપન્ન કર્યા. તેમણે રાજ્યના ચેરિટી તંત્રને 4 કરોડ જેટલા ડૉક્યુમેન્ટસના ડિજિટલાઇઝેશનની ભગીરથ કામગીરી પૂર્ણ કરવા માટે આ અવસરે અભિનંદન પાઠવ્યા.આ રેકર્ડનું ડિજિટલાઇઝેશન થવાથી હવે લોકોને ઘરે બેઠા પોતાના ટ્રસ્ટની માહિતી મળી રહેશે.
રાજ્યના બધા જ જિલ્લાઓમાં અદ્યતન સુવિધા સભર ચેરિટી ભવનોના નિર્માણથી ટ્રસ્ટના કામ સરળતાથી તથા ઝડપી થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં નોંધાયેલા સાડા ત્રણ લાખ જેટલા ટ્રસ્ટની કામગીરીના નિયમન તથા મદદ માટે ચેરિટી તંત્રએ સંખ્યાબંધ સુધારાઓની પહેલ કરેલી છે.