
ગુજરાતમાં ચોમાસાના થોડા જ સમયમાં તંત્રની બેદરકારીઓ સામે આવી છે. થોડા સમય પહેલાં અમદાવાદમાં એક આધેડનું તંત્રની બેદરકારીના કારણે ગટરમાં પડી જવાથી મોત નિપજ્યું હતું. જોકે, મંગળવારે (પહેલી જુલાઈ) ગાંધીનગરમાંથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં સાત વર્ષના એક બાળકનું મનપા દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં પડી જવાથી મોત નિપજ્યું છે.
મળતી માહિતી મુજબ, ગાંધીનગરના સેક્ટર-1માં નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે નગર પાલિકા દ્વારા નાનકડું કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ તેની આસપાસ કોઈ બેરિકેડિંગ કે ફેન્સિંગ લગાવવામાં નહતી આવી. આ દરમિયાન સોમવારે સાંજે (30 જૂન) કુલદીપ નામનો સાત વર્ષનો બાળક આ વિસ્તારમાંથી સાઇકલ ચલાવીને જઈ રહ્યો હતો. તે વખતે કુલદીપને આ કૃત્રિમ તળાવમાં પડી ગયો હતો. ગાંધીનગરમાં ભારે વરસાદના કારણે અહીં મોટી માત્રામાં પાણી ભરાયેલું હતું, જેના કારણે બાળક પાણીમાં ડૂબી ગયું અને ત્યાં જ તેનું મોત નિપજ્યું હતું. આખી રાત બાળકને શોધ્યા બાદ વહેલી સવારે સ્થાનિકો દ્વારા બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
બાળકના મૃત્યુથી ગ્રામજનો અને પરિવારનો લોકોમાં શોકની લાગણી છવાઈ છે. આ સાથે જ તંત્ર ઉપર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. હજુ તો ચોમાસાની શરૂઆત છે ત્યાં તંત્રની બેદરકારીના કારણે પહેલાં અમદાવાદ અને હવે ગાંધીનગરમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. એવામાં હજુ ચોમાસામાં આ નિષ્ઠુર તંત્ર કેટલાનો ભોગ લેશે?
