દેશના અનેક રાજ્યોમાં હવામાનના બે વિરોધાભાસી ચિત્રો જોવા મળ્યા છે. એક તરફ પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં આંધી, વીજળી અને ભારે વરસાદે તબાહી મચાવી હતી, જ્યારે બીજી તરફ રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં અસહ્ય ગરમીનો પ્રકોપ યથાવત્ રહ્યો હતો. વિવિધ હવામાન સંબંધિત દુર્ઘટનાઓમાં ત્રણેય રાજ્યોમાં મળીને 26 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ અને વીજળી પડવાની ઘટનાઓમાં 6 લોકોના મોત થયા હતા. રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને ₹4 લાખની સહાય જાહેર કરવામાં આવી છે. બીજી તરફ બિહારમાં પણ વીજળી પડવાથી 7 લોકોના જીવ ગયા હતા. બિહાર સરકારે પણ મૃતકોના પરિવારને ₹4 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. સાથે જ ખરાબ હવામાન દરમિયાન ઘરની બહાર ન નીકળવા લોકોને અપીલ કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશમાં ભારે પવન અને વરસાદના કારણે અનેક દુર્ઘટનાઓ સર્જાઈ હતી. એક જર્જરિત મકાન ધરાશાયી થતાં તેમાં સૂતા બે બાળકો, તેમની માતા સહિત એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા. હમીરપુર જિલ્લામાં બેતવા નદી પર બની રહેલા પુલના બાંધકામ દરમિયાન તેજ પવનના કારણે માળખું તૂટી પડતાં 6 મજૂરોના મોત થયા હતા. આ ઘટનામાં બેદરકારી બદલ એક આસિસ્ટન્ટ એન્જિનિયરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને ₹5 લાખ અને ઈજાગ્રસ્તોને ₹50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે. જાલૌન જિલ્લામાં પણ વરસાદ સંબંધિત ઘટનામાં બે લોકોના મોત નોંધાયા હતા.
આ તરફ દેશના અનેક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહ્યો હતો. ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં દેશનું સૌથી વધુ 47.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં તાપમાન 47.1 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં લોકોને ગરમીથી કોઈ ખાસ રાહત મળી નહોતી.
જોકે, દિલ્હી, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ઉત્તરાખંડમાં આંધી અને તેજ પવનના કારણે વન વિભાગની સંપત્તિને નુકસાન પહોંચ્યું હતું તેમજ લગભગ 30 વૃક્ષો ધરાશાયી થયા હતા. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને તેજ પવનની આગાહી કરી છે.















Leave a Reply