
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજા ની યાદી મુજબ ગઈકાલે સવારે વડોદરા નજીક મહીસાગર નદીનો ગંભીરા બ્રિજ તૂટી પડતા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રનો વચ્ચેનો માર્ગ વાહન વ્યવહાર અટક્યો છે. અને સૌરાષ્ટ્રવાસીઓને હવે અંકલેશ્વર વાપી તરફ જવા માટે દોઢસો કિલોમીટરનો ડાયવર્ઝન ને પગલે સમય અને ડીઝલ ની બરબાદી થશે. બ્રિજ તૂટવાના સિલસિલામાં વધુ એક ગંભીરા બ્રિજ તૂટી પડતા એક ડઝનથી વધુ નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે. આ તમામ મૃતકોને રાજકોટ શહેર કોંગ્રેસ શ્રદ્ધાંજલિ પાઠવે છે. રાજ્યના આઠ મહાનગરોમાં 40 જેટલા બ્રિજને રીપેર કરવા આદેશ થયો હતો પરંતુ રાજ્યની ડબલ એન્જિન સરકાર ની બેદરકારી અને લાપરવાહી એ આજે ડઝનથી વધુ નિર્દોષ નો ભોગ લેવાયો છે. માર્ગ અને મકાન વિભાગ અધિકારીઓની રાજ્યના રસ્તાઓ, ઓવરબ્રિજ, અન્ડરબ્રીજ અંગે જાગૃત નાગરિકો ફરિયાદ કરતા હોવા છતાં આ ફરિયાદો સરકારી તંત્રમાં તુમારશાહીનો ભોગ બની રહી છે. અને કચરાપેટીઓમાં પધરાવાઇ રહી છે. કોઈ અધિકારીની કોઈ કોન્ટ્રાક્ટરોની જવાબદારી ફિક્સ થતી નથી. અગાઉ આ બ્રિજની ઘટના માં ઓગસ્ટ 2022 માં પુલ નબળો હોવાનો રિપોર્ટ માર્ગ અને મકાન વિભાગમાં રિપોર્ટ આપવામાં આવેલ હતો પરંતુ ગંભીર નોંધ ન લેવાતા સરકાર દ્વારા આ બ્રિજના મુદ્દે મરામત કે નવો બનાવવા બાબતે ઠાગાઠૈયા કરવામાં આવતા નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો છે. જે પગલે ભ્રષ્ટાચારમાં પ્રેરણા આપનાર સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરો અને જવાબદારો ને જેલ ભેગા કરો અને દાખલા રૂપ સજા થવી જોઈએ કારણ કે તપાસ કરાશે, તપાસ સમિતિ તટસ્થ તપાસ કરશે, કોઈપણ ચમરબંધીને છોડશું નહીં. આ બધી કેસેટ જૂની થઈ ગઈ છે ખરેખર સરકારની બેદરકારી છે અને આ બેદરકારી અને લાપરવાહી દાખવનારા ની પણ સરકારના રેકોર્ડ પર નોંધ છે. આ બ્રિજ ના રીપેરીંગ અંગે પણ રજૂઆતો થઈ છે અને બ્રિજ ધ્રૂજતો હોવા છતાં પણ સરકારી તંત્ર એ ગંભીરા બ્રિજની ગંભીર નોંધ ન લેવાતા દુર્ઘટના ઘટી છે અને આ દુર્ઘટના ના પગલે રાજ્ય સરકારે મૃતક પરિવારોને ફક્ત ચાર ચાર લાખની સહાય ચૂકવવા આદેશ કરેલ છે પરંતુ અમારી માંગ છે કે જવાબદાર અધિકારીઓના પગારમાંથી 25 લાખની સહાય ચૂકવવામાં આવે. રાજ્ય સરકારે ટોલટેક્સમાં અને રાજ્યમાં રોજ વાહન ચાલકો સામે તોતિંગ દંડનીય કાર્યવાહી કરી ગુજરાતની પ્રજા પાસેથી કરોડો રૂપિયાના ઉઘરાણા કરી ખિસ્સા ખંખેરી રહી છે. અને તેમ છતાં ભાંગેલા, તૂટેલા અને કમર તોડ રસ્તાઓ અને બિસ્કીટ જેવા બ્રિજને પગલે નિર્દોષ લોકો નો ભોગ લેવાઈ રહ્યો છે. સરકાર આળસ ખંખેરી કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે નહી તો હજુ અનેક નાગરિકોનો ભોગ લેવાતો જ રહેશે. રાજ્યમાં કાકરીયા રાઈડ દુર્ઘટના, સુરતની તક્ષશિલા આગ કાંડ, અમદાવાદ શ્રેયસ હોસ્પિટલ આગ કાંડ, વડોદરા હરણી બોટ કાંડ, મોરબી ઝુલતો પુલ ની દુર્ઘટના, રાજકોટનો ગેમ ઝોન અગ્નિ કાંડ ની ઘટનાઓમાં રાજ્ય સરકાર દ્વારા બનેલી તપાસ સમિતિઓ નાટક બની રહી છે અને કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી કેમ અંતમાં ડૉ. રાજદીપસિંહે જણાવ્યું હતું.
