દિલ્હીમાં ભારે વરસાદ વચ્ચે ૫ માળની હોસ્ટેલ ધરાશાયી: ૫ ના મોત, કાટમાળ નીચે દટાયેલા વિદ્યાર્થીઓએ ફોન કરી મદદ માગી

નવી દિલ્હી:
દિલ્હીમાં પડેલા ભારે વરસાદ બાદ દક્ષિણ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માત સામે આવ્યો છે. દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ નજીક આવેલી આશરે ૫૦ વર્ષ જૂની અને પાંચ માળની એક હોસ્ટેલની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૫ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ૯ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. કાટમાળ નીચે હજુ પણ અનેક વિદ્યાર્થીઓ દટાયેલા હોવાની આશંકાને પગલે મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે.
બેઝમેન્ટમાં પાણી ભરાતા સર્જાઈ દુર્ઘટના
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે પડેલા અવિરત વરસાદને કારણે હોસ્ટેલના બેઝમેન્ટમાં ભારે પ્રમાણમાં પાણી ભરાઈ ગયું હતું. આ દરમિયાન બિલ્ડિંગમાં સમારકામનું કેટલુંક કામ પણ ચાલી રહ્યું હતું, જે દરમિયાન નબળી પડેલી આખી ઇમારત પત્તાના મહેલની જેમ ધસી પડી હતી. સ્થાનિકોનો દાવો છે કે ઘટના સમયે ઇમારતમાં ૩૦ થી ૫૦ લોકો હાજર હતા, જો કે વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર આંકડો જાહેર કરાયો નથી. હોસ્ટેલમાં રહેતા મોટાભાગના વિદ્યાર્થીઓ કેરળ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોના છે.
મોબાઈલ ફોન દ્વારા માગી મદદ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
દુર્ઘટના બાદ ઘટનાસ્થળે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. કાટમાળ નીચે કલાકો સુધી ફસાયેલા કેટલાક વિદ્યાર્થીઓએ પોતાની પાસે રહેલા મોબાઈલ ફોન દ્વારા બહાર કોલ કરીને મદદની ગુહાર લગાવી હતી. ભાજપના ધારાસભ્ય અનિલ શર્માએ ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ મીડિયાને જણાવ્યું કે, ફસાયેલા વિદ્યાર્થીઓ સુધી ઓક્સિજન પહોંચાડવા માટે તાત્કાલિક ઓક્સિજન સિલિન્ડરોની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામને હેમખેમ બહાર કાઢવાના તમામ પ્રયાસો ચાલુ છે.
ઉત્તર પ્રદેશમાં પણ મકાનો ધરાશાયી થતાં ૬ ના મોત
બીજી તરફ, ભારે વરસાદની આફત માત્ર દિલ્હી પૂરતી મર્યાદિત નથી રહી. ઉત્તર પ્રદેશના કાનપુરમાં પણ મુસળધાર વરસાદને કારણે એક મકાન ધરાશાયી થતાં ૬ લોકોના મોત થયા છે. આ ઉપરાંત યુપીના બુદાઉન અને બલિયા જિલ્લામાં પણ અનેક કાચા-પાકા મકાનો ધ્વસ્ત થવાની ઘટનાઓ સામે આવી છે.