ગુજરાતમાં ટેટ પાસ કરેલા અને વિદ્યા સહાયકની લાયકાત ધરાવતા અનેક ઉમેદવારો સરકારી ભરતીની રાહ જોઈને બેઠા છે,આ શિક્ષિત બેરોજગારોએ વારંવાર શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરી છે પરંતુ છેલ્લા ૩ વર્ષથી માત્ર એક જ જવાબ આપવામાં આવે છે કે ટૂંક સમયમાં જાહેરાત આપવામાં આવશે.આથી તારીખ પે તારીખ જેવો ઘાટ ઘડાયો છે. શિક્ષણ વિભાગના અધિકારીઓને પણ રજૂઆત કરી છે પરંતુ શિક્ષણ વિભાગ જાણે ઘોર નીંદરમાં હોય તેવું લાગી રહ્યું છે.એક તરફ શાળાઓમાં શિક્ષકોની અછતનાં કારણે વિધ્યાર્થીઓને ભણાવનાર કોઈ નથી જ્યારે બીજી બાજુ ગુજરાતમાં આશરે 9 હજાર જેટલા વિદ્યા સહાયકોની જગ્યા ખાલી છે.વિદ્યા સહાયકની ભરતી અંગે શિક્ષણ વિભાગ દ્વારા આગામી સમયમાં જાહેરાત નહિ કરવામાં આવે તો ટેટ પાસ ઉમેદવારો આગામી તા.૫મી સપ્ટેમ્બરથી ઉપવાસ આંદોલનનો માર્ગ અપનાવશે તેવું બહાર આવવા પામ્યું છે.