દેશમાં એક્સપ્રેસવેના નિર્માણથી મુસાફરી વધુ ઝડપી અને સુગમ બની છે. જોકે, લાંબા સમયથી મુસાફરોની એક મોટી ફરિયાદ રહી હતી કે અધૂરા એક્સપ્રેસવે પર પણ સંપૂર્ણ અથવા વધારાનો ટોલ વસૂલવામાં આવતો હતો. હવે સરકારે આ વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે.
અધૂરા એક્સપ્રેસવે પર ટોલટેક્સમાં રાહત
કેન્દ્ર સરકારે નેશનલ હાઈવે ફી (દર નિર્ધારણ અને વસૂલાત) નિયમો-2008માં સુધારો કર્યો છે. નવા સુધારા મુજબ, જે એક્સપ્રેસવે સંપૂર્ણ રીતે (એન્ડ-ટુ-એન્ડ) કાર્યરત થયા નથી, તેમના પર હવે 25 ટકા વધારાનો ટોલ લેવામાં આવશે નહીં.
અધૂરા પ્રોજેક્ટ પર વધારાનો ટોલ વસૂલાતનો અંત
અગાઉના નિયમો પ્રમાણે, એક્સપ્રેસવેનો કોઈપણ ભાગ મુસાફરી માટે ખુલ્લો મુકાતા જ તેના પર સામાન્ય નેશનલ હાઈવે કરતા 25 ટકા વધુ ટોલ વસૂલવામાં આવતો હતો, ભલે પ્રોજેક્ટ સંપૂર્ણ ન થયો હોય. હવે સુધારેલા નિયમ મુજબ, જ્યાં સુધી એક્સપ્રેસવે તેની સંપૂર્ણ લંબાઈમાં શરૂ ન થાય, ત્યાં સુધી તેના ખુલ્લા ભાગ પર સામાન્ય નેશનલ હાઈવેના દરો મુજબ જ ટોલ લેવામાં આવશે.
નિયમ ક્યારથી અમલમાં આવશે?
સરકાર દ્વારા જાહેર કરાયેલો આ નવો નિયમ 15 ફેબ્રુઆરી 2026થી અમલમાં આવશે. આ જોગવાઈ એક વર્ષ સુધી અથવા એક્સપ્રેસવે સંપૂર્ણ રીતે કાર્યરત ન થાય ત્યાં સુધી — જે વહેલું થાય તે મુજબ — લાગુ રહેશે.














Leave a Reply