જૂનાગઢના ભવનાથ ખાતે મહાશિવરાત્રી મેળાની શરૂઆત સાથે ગિરનારની તળેટી ભક્તિભાવથી છલકાઈ ઉઠી છે. ‘હર હર મહાદેવ’ અને ‘અલખ નિરંજન’ના ગર્જતા નાદ વચ્ચે હજારો સાધુ-સંતોએ પોતાના પડાવ જમાવ્યા છે. અહીં ખાસ આકર્ષણનું કેન્દ્ર સાધુઓના ધૂણા અને તેમના શરીરે લગાવેલી પવિત્ર ભસ્મ બની છે.
ધૂણાનું આધ્યાત્મિક મહત્વ
સાધુઓ માટે ધૂણો માત્ર અગ્નિ પ્રજ્વલિત કરવાનું સ્થાન નથી, પરંતુ ભગવાન શિવનું જીવંત પ્રતિક માનવામાં આવે છે. તેઓ ધૂણાની આસપાસ બેસીને જપ-તપ અને સાધના કરે છે. ધૂણો માનવીના કામ, ક્રોધ, લોભ અને અન્ય વિકૃતિઓને અગ્નિમાં અર્પણ કરીને આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવાની પ્રક્રિયાનું પ્રતિક છે. સંસારની મોહમાયાથી દૂર રહી વૈરાગ્યનો માર્ગ અપનાવવાનો સંદેશ ધૂણો આપે છે.
ભસ્મનું તત્વજ્ઞાન
સાધુઓ દ્વારા શરીર પર ધારણ કરવામાં આવતી ભસ્મ (ભભૂત) જીવનના અસ્થાયિત્વની યાદ અપાવે છે. માનવીનો દેહ નશ્વર છે અને એક દિવસ રાખમાં વિલીન થવાનો છે – આ સત્યનો સ્વીકાર ભસ્મ કરાવે છે. તે અહંકારને ઓગાળી મનુષ્યને નમ્રતા અને શિવત્વ તરફ દોરી જાય છે. શિવરૂપ ધારણ કરી સાધુઓ પોતાના આરાધ્ય સાથે એકરૂપ થવાની ભાવના વ્યક્ત કરે છે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ભસ્મનું મહત્વ માનવામાં આવે છે. તે શરીરના રોમછિદ્રોને આવરી લઈ ઠંડી-ગરમીની અસર ઘટાડે છે, ચામડીના રોગોથી રક્ષણ આપે છે અને નકારાત્મક પ્રભાવોથી બચાવે છે.
સર્વજીવ કલ્યાણની પ્રાર્થના
ભવનાથમાં સાધુ-સંતોની સાધના માત્ર માનવ સમાજ સુધી મર્યાદિત નથી. તેઓ સર્વ જીવસૃષ્ટિના કલ્યાણ માટે ધૂણામાં આહુતિ અર્પણ કરે છે. 84 લાખ યોનીઓના હિત અને વિશ્વશાંતિની કામનાથી અહીં ભજન, ભક્તિ અને સેવા નો અનોખો સંગમ સર્જાયો છે, જે મેળાને આધ્યાત્મિક ઊર્જાથી સરોબર કરી રહ્યો છે.














Leave a Reply